ગુજરાત મુલાકાત! રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત,વિધાનસભા ગૃહમાં તેમની બેઠક વ્યવસ્થા રાજાની જેમ સજાવાઈ

ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે તેઓ ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. તો આવતીકાલે જામનગરમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરશે. ત્યારે તેમના આગમન ટાંણે વિધાનસભા ગૃહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. ગૃહમા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ ત્રણે સાથે બેસશે. જેથી ત્રણ ખુરશી રાખવામાં આવી છે. અલગ અલગ કલરના ફુલોથી બેસવાની જગ્યા શણગારાઈ છે. સાથે જ રાષ્ટ્રપતિની રંગોળી પણ બનાવાવમાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કચ્છની શૈલીમાં તૈયાર થયેલી ભેટ આપવામા આવશે. વિધાનસભા અધ્યક્ષ ડો નિમાબેન આચાર્ય દ્વારા કચ્છની શૈલીમા તૈયાર થયેલું ચિત્ર રાષ્ટ્રપતિને ભેટ આપશે. તેના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરની પણ મુલાકાત લેશે. 

 

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું   રાષ્ટ્રપતિના વિધાનસભામાં સંબોધનને લઇને તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તમામ ધારાસભ્યોને આ સંબોધન દરમિયાન ઉપસ્થીત રહેવા કહેવાયુ છે. તો ગૃહના કામકાજના સમયમાં પણ એક કલાકનો વધારો કરાયો છે. રાષ્ટ્રપતિના આ સંબોધન દરમિયાન રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત પણ ઉપસ્થિત રહશે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થયા છે અને એ નિમિત્તે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે, તેના ભાગરૂપે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાના માધ્યમથી રાજ્યની જનતાને સંદેશો આપશે. શુક્રવારે રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાતે જવાના છે. અહીં નેવીના જહાજ આઇએનએસ વાલસુરામાં યોજાનારા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે..મહત્વનુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો છ વર્ષનો કાર્યકાળ આગામી જૂન ૨૦૨૨માં પૂર્ણ થઇ રહ્યો છે.આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે ચૂંટણી યોજાય એ પહેલાં તેમનો આ ગુજરાત પ્રવાસ મહત્વનો બની રહે તેમ છે.

 

 

INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે

ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે

 

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે જેમને 27 મે 1951 ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 

 

1942 માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

 

  • જામનગર જિલ્લા કલેકટરની પ્રતિક્રિયા
  • 25 માર્ચના INS વાલસુરા નેવી ખાતે એવોર્ડ કાર્યક્રમમાં આવનાર છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
  • રાષ્ટ્રપતિના પ્રવાસને પગલે પ્રોટોકોલનું પાલન
  • રાષ્ટ્રપતિના પ્રવાસને અનુલક્ષીને જામનગરમાં જાહેર સ્થળો પર ચેકીંગ
  • બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ
  • સુરક્ષા જવાનો દ્વારા ઠેર ઠેર ચેકીંગ
  • જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું
  • તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી : જિલ્લા કલેકટર

 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *